યુકેમાં મણિનગર ગાદી સંસ્થા દ્વારા ૫૮ મા પ્રતિષ્ઠોત્સવે અન્નકૂટ, આશીર્વાદ સહિતનો કાર્યકમો યોજાયા

By: nationgujarat
28 Aug, 2023

વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેન્ડલી શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી, લંડન – યુકેમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજના ૯ મા વાર્ષિક પાટોત્સવની ભક્તિભાવપૂર્વક પરમઉલ્લાસભેર ભવ્ય ઉજવણી કરાઈ……

૫૮ મા પ્રતિષ્ઠોત્સવે અન્નકૂટ, આશીર્વાદ વગેરે અધ્યાત્મ સભર કાર્યકમો યોજાયા…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી, લંડન વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેન્ડલી મંદિર છે તથા અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી, લંડન ઈકોફ્રેન્ડલી મંદિરનું નિર્માણ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુકતજીવન સ્વામીબાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઈંગ્લેન્ડના અવિરત વિચરણથી યુ.કે.માં સત્સંગની અભિવૃદ્ધિ થઈ છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી, લંડન – યુ.કે.માં બિરાજમાન “શ્રી ઘનશ્યામ મહારાજના ૯ મા વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ” ની દિવ્યતા અને ભવ્યતાસભર પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ મહોત્સવ દરમ્યાન સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત ગ્રંથની પારાયણ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયાણો, કથાવાર્તા, રાસોત્સવ તથા ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, નિરાજન – આરતી, પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.

આ પાવનકારી અવસરે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, વિદેશની ધરા પર સ્વામિનારાયણબાપા , સ્વામીબાપાની સ્મૃતિ તાજી ને તાજી રહે તે માટે આપણા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આપણને આ મંદિર મહેલ આપ્યો છે. વિશ્વનું સર્વ પ્રથમ ઈકોફ્રેન્ડલી શ્રી સ્વામિનારાયણ મંદિર, કીંગ્સબરી છે. આ મંદિરના નિર્માણમાં પાયાથી માંડીને ઠેઠ શિખર સુધી એવું ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે કે જેમાં પર્યાવરણ, સ્વછતા અને હરિયાળી શ્રી સ્વામિનારાયણ ભગવાનના મૂળભૂત સિદ્ધાંતોને સમાવી લેવામાં આવ્યા છે. મંદિર એટલે આત્યંતિક મોક્ષનું દ્વાર. જયાં માણસ પોતાના મનુષ્ય જીવનનું કર્તવ્ય સમજી ભકિતના માર્ગે ચાલે છે. ભગવાન ભજવા માટે મંદિરોના નિર્માણ કર્યા છે. ભગવાન ભજવા એ સારી પ્રવૃત્તિ છે તથા મોક્ષમાર્ગને આપનારી છે. સમૂહમાં ભગવાનનું ભજન, ભક્તિ કરી શકે તે માટે મંદિરોના નિર્માણ કરવામાં આવ્યાં છે. વડીલોએ મંદિરમાં આવું ત્યારે પોતાના સંતાનોને પણ મંદિરમાં લાવવા જેથી કરીને સંતાનોમાં પણ સદ્ભાવ, ભાતૃભાવ તથા સારાં સંસ્કારનું સિંચન થઈ શકે તે માટે મંદિરોના સર્જન કરવામાં આવ્યા છે. નાનપણથી બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હશે તો સમાજ અને સંસ્કૃતિ બંને જળવાશે.આ પાવનકારી અવસરે કીંગ્સબરી વિસ્તારના નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય અવસરનો લ્હાવો અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ભારત વગેરેના દેશ વિદેશના હરિભક્તોએ ભકિતભાવપૂર્વક પરમ ઉલ્લાસભેર લીધો હતો.


Related Posts

Load more